Abtak Media Google News
  • ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાન ધારકોને રાહત: ફ્લેટ પ્રકારના મકાનોના કિસ્સામાં અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમ નક્કી કરાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. તદઅનુસાર, હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.

આ વન ટાઈમ ફીનું ધોરણ ઇડબલ્યૂએસ માટે રૂ. 2 હજાર, એલઆઇજી માટે રૂ.10 હજાર, એમઆઇજી માટે રૂ.14 હજાર અને એચઆઇજી માટે રૂ.20 હજાર સૂચવવામાં આવ્યું છે.

ફ્લેટ પ્રકારના મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે.

એટલે કે, 25 ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે ઇડબલ્યૂએસમાં રૂ.10 હજાર,  એલઆઇજીમાં રૂ. 20 હજાર, એમઆઇજીમાં રૂ.30 હજાર અને એચઆઇજીમાં રૂ.60 હજાર પ્રમાણે લેવાશે.

આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે ઇડબલ્યૂએસમાં રૂ.20 હજાર, એલઆઇજીમાં રૂ. 40 હજાર, એમઆઇજીમાં રૂ.60 હજાર અને એચઆઇજીમાં રૂ. 1 લાખ 20 હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.

મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની 100 ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. 1 હજારના સ્થાને વન ટાઈમ વસુલાત ઇડલબ્યૂએસ માટે રૂ. 2 હજાર, એલઆઇજી માટે રૂ. 4 હજાર, એમઆઇજી માટે રૂ. 6 હજાર અને એચઆઇજી માટે રૂ.10 હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે.

આવા જન હિતકારી નિર્ણયને કારણે જુના અને જર્જરીત મકાનોના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.

ગ્રામ્ય વિસ્તારોના રસ્તાને ટનાટન બનાવવા રૂ.1563 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી

નાળા-પૂલોની જાળવણી અને રીપેરીંગના 211 કામો તથા નવ નિર્માણના 903 કામો સહિત 1114 કામો દ્વારા ગ્રામ્ય સ્તરે કનેક્ટીવિટી સરળ બનાવવાનો ઉદાર અભિગમ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદ્રઢીકરણ માટેના કામો હાથ ધરવા રૂ. 1563 કરોડ જેટલી માતબર રકમની ફાળવણીની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુન: બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ. 1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે.

તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે,  બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે.

એટલું જ નહીં, તેમણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી-નાળા પરના જુના સ્ટ્રક્ચર્સને ભારે વરસાદ અને ચોમાસાને પરિણામે નુકસાન થયેલા 211 નાળા-પૂલોના મજબૂતીકરણ અને મરામતના કામો માટે 75.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોને બારમાસી રસ્તાઓની સહુલિયત મળી રહે અને અંતરિયાળ વિસ્તારોને પણ સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તેવા ગ્રામ હિતકારી અભિગમ સાથે આ માતબર રકમ ફાળવવા મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.