Abtak Media Google News
  • મારા તમારા નહીં સૌના રામ
  • રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે.

22મીએ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજાએ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધા કેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્ર્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે 11 દિવસ તપશ્ર્ચર્યા કરી હતી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગૃહ સમક્ષ પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા-અર્ચના કરીને વડાપ્રધાનએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની ઘડી ગણાવી હતી.

ગુજરાત વિધાનસભા નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે.  નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ ગૃહ સમક્ષ મૂક્યો હતો.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્ર્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે.

તેમણે ભગવાન રામચંદ્રજી અને અયોધ્યા નગરીની પુરાતન ભવ્યતા અને ઇતિહાસનો અંદાજ વર્તમાન અને આવનારી પેઢીને આવે તે માટે ગૃહમાં ઐતિહાસિક અયોધ્યાનગરીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, ઇક્ષ્વાકુ વંશના 65માં વંશજ પ્રભુ શ્રીરામના જીવનની કથા ભારતભૂમિના પ્રત્યેક ઘરમાં જાણીતી છે. રામચંદ્રજીની આ અયોધ્યા નગરી મૂળ રૂપે મંદિરોની નગરી હતી.

મુખ્યમંત્રીએ ભગવાન આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો તેમજ અસંખ્ય ધર્મપ્રેમી રાજા તથા સંતોએ અયોધ્યાની ભૂમિ પર જન્મ લીધો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત ભગવાન બુદ્ધ અયોધ્યાની ભૂમિ ઉપર મહિનાઓ સુધી રહ્યા હતા અને મહર્ષિ વાલ્મિકીએ તો અયોધ્યાની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે તે અંગે પણ જણાવ્યું હતું.

આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, આ જ રામ મંદિરના નિર્માણ માટે ત્રણ-ત્રણ ધર્મ પરિષદ યોજાઇ,  શિલા પૂજન કાર્યક્રમ અને કારસેવાનું આહવાન થયું હતું. જનજાગરણ માટે રામજાનકી રથમાં મહંત અવૈદ્યનાથની આગેવાનીમાં સીતામઢીથી અયોધ્યા માટે ધર્મયાત્રા નીકળી હતી.

મુખ્યમંત્રીએ રામલલ્લાના તંબુમાં બિરાજમાન થવાની ઘટના અંગે કહ્યું કે રામભક્તોએ પાંચ ફૂટ ઊંચી અને પચ્ચીસ ફૂટ લાંબી દીવાલો ચણી, જેમાં અસ્થાયીરૂપે પ્રભુ શ્રી રામ બિરાજ્યા હતા. અત્યાર સુધી સૌ શ્રદ્ધાળુઓએ જે તંબુમાં રામલલ્લાના દર્શન કર્યા તે સ્થાન 1992માં અસ્તિત્વમાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે તેની પાછળ નરેન્દ્રભાઈનું અવિરત તપ, ત્યાગ અને તપસ્યા રહેલા છે એ દેશ આખાએ સ્વીકાર્યું અને વધાવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ  મોદીના રામમંદિર માટેના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનવું જોઇએ એ આખા દેશની લાગણી હતી પરંતુ વિધાતાને જાણે યોગ્ય સમયની રાહ હતી. સોમનાથ મહાદેવના આશિષ લઈને 1990ની 25મી સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 10 હજાર કિલોમીટરના પ્રવાસ બાદ આ યાત્રા અયોધ્યા પહોંચવાની હતી.

તેમણે નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા બાદના રામ મંદિર નિર્માણના પ્રયાસો અંગે કહ્યું કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુદીર્ઘ નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર બની, દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ સુનિશ્ચિત થયો. 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો.

રામ મંદિર નિર્માણ માટે નરેન્દ્રભાઈનું સમર્પણ અંગે તેમણે કહ્યું કે, ઓગષ્ટ-2020માં રામ મંદિરનું ભૂમિ પૂજન તેમના હસ્તે થયું અને તેના માટે 1500થી વધુ સ્થળોની માટી, 10થી વધુ પ્રવિત્ર નદીઓના જળથી આ રામ મંદિરનો પાયો સિંચવાની પ્રેરણા તેમણે આપી હતી.

કાશી વિશ્ર્વનાથ કોરિડોર, મહાકાલેશ્ર્વર મંદિર પરિસરનો વિકાસ કે બાબા કેદારનાથ ધામમાં અનેક યાત્રી સુવિધાઓ, આદ્યશક્તિ અંબાજી શક્તિપીઠનો સર્વાંગી વિકાસ અને મહાકાલી ધામ પાવાગઢમાં સૈકાઓ પછી થયેલું ધ્વજારોહણ આ બધું જ એમની વિઝનરી લીડરશીપ અને કરોડો ભારતીયોના તેમના પરના ભરોસાથી પાર પડ્યું છે તેમજ હવે, અયોધ્યામાં રામમલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક નવજાગરણના ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરાયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ભગવાનના ચરણ જ્યાં જ્યાં પડ્યા તે સ્થળોને આવરી લઇને રામ સર્કીટનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રભુ શ્રીરામના આદર્શો સાથે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. ભારતની આસ્થામાં રામ છે, ભારતના આદર્શોમાં રામ છે. પ્રભુ શ્રી રામના ચરિત્ર સૌથી વધુ જે કેન્દ્રબિંદુ પર ફરે છે તે છે, સત્ય ઉપર અડગ રહેવું. આપણે પોતાનું મન અયોધ્યા જેવું બનાવવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયું છે ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દિવ્ય નારીશક્તિને પણ બિરદાવવાનો અવસર ગણાવ્યો હતો.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિરાંગના મહારાણી જયા કુમારીએ બાબરના પુત્ર હુમાયુ સામે 30 હજાર મહિલા સૈન્ય સાથે આક્રમણ કરી મંદિરનો કબજો પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત રાજમાતા વિજયા રાજે સિંધિયા, ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી, રાજસ્થાનના વર્તમાન નાયબ મુખ્યમંત્રી રાજકુમારી દિયા કુમારીજીને પણ શ્રી રામમંદિર નિર્માણના યોગદાન માટે યાદ કર્યા હતા.

મુખ્યમંત્રીએ જેમની કૂખે ભારતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ થયો, એવા સ્વર્ગસ્થ પૂજ્ય હીરાબાને પણ આ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં યાદ કર્યા હતા.

તેમણે પૂજ્ય હીરાબાને વંદન કરતા કહ્યું હતું કે, ઈશ્ર્વરે મહાન પ્રતાપી પુરુષના જન્મ માટે કૃપાપાત્ર બનાવી ધન્ય કર્યા છે.

મુખ્યમંત્રીએ સભાગૃહ સમક્ષ રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આવકારતો અને વડાપ્રધાનને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, આ ઐતિહાસિક સાંસ્કૃતિક નવજાગરણમાં જેમનું દ્રષ્ટિવંત નેતૃત્વ, ભારતીય સંસ્કૃતિની સમજ અને વ્યક્તિગત તપશ્ર્ચર્યાએ અપ્રતિમ પ્રદાન કરેલું છે, એવા ગુજરાતના પનોતા પુત્ર અને આ ગૃહના ભૂતપૂર્વ નેતા, અને દેશના હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિધાનસભા ગૃહ અભિનંદન પાઠવે છે. તેમજ દેશના કરોડો લોકોની આસ્થાને પુન: પ્રસ્થાપિત કરીને, સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણ માટે વડાપ્રધાનનો આભાર માને છે.

ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રસ્તાવને પ્રતિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપાના ધારાસભ્યો અમિતભાઈ ઠાકર,  અનિરૂદ્ધભાઈ દવે, મહેશભાઈ કસવાલા, શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રીમતી મનિષાબહેન વકીલ સહિત અન્ય સભ્યોએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.