Abtak Media Google News
  • દેશમાં બેરોજગારીનો દર 3.2 ટકા જ્યારે ગુજરાતમાં માત્ર 1.7 ટકા: ઋષિકેશ પટેલ

રાજ્યમાં 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1,56,417 જગ્યાઓની ભરતીના આયોજન સામે ફેબ્રુઆરી-2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરાઈ છે. વિવિધ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં 1.30 લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત જીએડીને મળી છે.

વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે.

ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590 બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.